પુષ્પ ૧
વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી એટલે સંતો, ભક્તો, બાળકો, કિશોરો SMVSના સમગ્ર સમાજની મા... એમનો માતૃવાત્સલ્ય પ્રેમ કેવો હોય છે. તે તો નિહાળવા ને અનુભવવા જેવો છે.
પ્રાતઃકાળે ઘડિયાળનો કાંટો પોણા છ ઉપર આવ્યો.
ગુરુવર્ય પ.પૂ. બાપજી વાસણા પોતાના આસને વચનામૃત વાંચતા હતા ને એકદમ પોતાના સેવક સંતને એક સંતનું નામ આપી બોલાવવા કહ્યું. એ સંત પૂજામાં મહારાજને અને બાપજીને સાચા ભાવે પ્રાર્થના કરતા હતા.
સેવક સંતે એ સંતને શોધી કહ્યું, “બાપજી તમને યાદ કરે છે.”
પૂજા પૂર્ણ કરી પેલા સંત ઝડપભેર હાંફળા બની ગુરુવર્ય પ.પૂ. બાપજીના આસને પહોંચ્યા. દંડવત કરી ગુરુવર્ય પ.પૂ. બાપજીની પડખે બે હાથ જોડી એક નજરે તેમની સામું જોઈ રહ્યા.
મરમાળું હાસ્ય કરતાં ગુરુવર્ય પ.પૂ. બાપજી બોલ્યા, “અલ્યા, તું રાજી તો છે ને ?! આનંદમાં તો છે ને ?!”
આટલું સાંભળતાં તો પેલા સંત અતિ ગળગળા બની ગયા. ડૂમો ભરાઈ આવ્યો, આંખમાં ઝળઝળિયાં આવી ગયાં.
આ બાજુ ‘પૂજામાં બાપજીને પ્રાર્થના પૂરી થાય એ પહેલાં ગુરુવર્ય પ.પૂ. બાપજીએ બોલાવી લીધો’ આ વિચારે સંતની આંખમાંથી અશ્રુધારા છલકાઈ.
આંખમાં આંસુ જોઈ ગુરુવર્ય પ.પૂ. બાપજી બોલ્યા, “અલ્યા ! તું આમ દુઃખી કેમ ?!!”
એટલું કહેતાં એમનો હાથ ઝાલી એમને છાતીએ ચાંપી દીધા.
“મારા દીકરા, તને કાંઈ ચિંતા છે ?! કંઈ મૂંઝવણ છે ?!”
આટલું પૂછતાં પોતાના ગાતડિયાથી આંસુ લૂછ્યાં. આ જોઈ પેલા સંતની આંખમાં અશ્રુધારા વધુ વહી કે, “આપ પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રૂપે પણ અમારી કેટલી ચિંતા રાખો છો !!!”
આટલું વિચારતાં સદ્. નિષ્કુળાનંદ સ્વામી રચિત ચોસઠપદીની પંક્તિની સ્મૃતિ થઈ આવી,
“જે જે હરિએ કર્યું હેત, એવું કરે કોણ આપણે રે.”
“વળી સમે સમે સંભાળ, જાણો કરે હરિજનને રે;
બીજું એવું કોણ દયાળ, કાં રે મનાય નહિ મનને રે.”
ગુરુવર્ય પ.પૂ. બાપજીએ ફરીથી પૂછ્યું, “અલ્યા તને કંઈ દુઃખ નથી ને ?!”
પેલા સંતે કહ્યું, “બાપજી ! દુઃખ તો કાંઈ નથી પણ આપને અને સ્વામીશ્રીને રાજી નથી કરી શકતો.”
ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ માથે હાથ ફેરવતાં કહ્યું, “જો તને અવરભાવના સ્વભાવ આદિ દોષ પીડે તો તારે ચિંતા ન કરવી. મહારાજ ભેળા છે, નિશ્ચિંત રહેવું. સ્વભાવ આદિ દોષનું બળ નહિ ચાલે અને તારે સ્વામીને રાજી કરી લેવા. સ્વામી સામે દૃષ્ટિ રાખવી. તો તને બીજો વિચાર જ નહિ આવે ને ગુણોનો ઢગલો થઈ જશે.”
આટલું કહેતાં ફરી છાતીએ ચાંપી વ્હાલ કર્યું.
દેહની ‘મા’ દીકરો સાજો-માંદો હોય તો ચિંતા રાખે જ્યારે આ તો આતમની સાચી મા છે ને એટલે દીકરાની હેઠની-ઠેઠની કહેતાં આ લોક ને પરલોકની પણ ચિંતા રાખે છે. કેવળ કરુણા વહાવી એને પોતાના જેવા કરી દે છે.
પુષ્પ ૨
ગુરુવર્ય પ.પૂ. બાપજી સ્વામિનારાયણ ધામ સમર્પિત તાલીમ કેન્દ્ર (એસ.ટી.કે.)ના સમર્પિતમુક્તોને લાભ આપવા પધાર્યા હતા.
સભા બાદ બધા મુક્તો ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં નિકટ દર્શનનો લાભ લેતા હતા. ગુરુવર્ય પ.પૂ. બાપજી સૌ મુક્તો ઉપર આશિષ વરસાવતાં હસ્ત મસ્તકે મૂકતા હતા.
એમાં એકાએક એક મુક્તનું કાંડું ઝાલી કહ્યું, “અલ્યા ! તું માંદો છે કે શું ? તને તાવ આવ્યો લાગે છે.”
પેલા મુક્તરાજ તો બે હસ્ત જોડી દંગ જ બની ગયા કે મેં તાવ આવ્યાની વાત કોઈને નથી જણાવી ને ગુરુવર્ય પ.પૂ. બાપજી તો મને સ્પર્શતાં જ માંદગીને જાણી ગયા.
મુક્તરાજ વિચારતા હતા ત્યાં ગુરુવર્ય પ.પૂ. બાપજીએ સંતોને બોલાવ્યા ને કહ્યું, “આ માંદો પડ્યો છે માટે એની સારવાર કરાવો.”
અને તે સમર્પિત સેવકને ઓરો બોલાવી કહ્યું, “તારે તમતમાર જે જમવું હોય તે સંતોને કહેજે ને ટાઇમે ગોળી લઈ લેવી.”
ગુરુવર્ય પ.પૂ. બાપજી દર્શન આપી ઊભા થયા ને ચાલતાં રસ્તામાં બીજા એક સમર્પિત સેવકને બોલાવી કહ્યું, “પેલો માંદો છે એની ટાણે ટાણે સેવા કરજે; એને તકલીફ ના પડે.”
સમર્પિતમુક્ત એ દિવ્યપુરુષની જનની સમ વાત્સલ્યતાથી ભીંજાઈ ગયા.
પુષ્પ ૩
આજે મોરબી સત્સંગ કાર્યક્રમમાં બપોરે સાડા ત્રણ વાગ્યે પહોંચવાનું હતું.
ગુરુવર્ય પ.પૂ. બાપજીએ પ્રાતઃ સભા બાદ ગાડીમાં જતાં રાજેશભાઈ અબાસણાને કહ્યું કે, “આજે તારે મોરબી આવવાનું છે.”
આટલું કહેતાં વળી પાછું પૂછ્યું, “તમે જમીને આવશો ?”
ત્યારે રાજેશભાઈ અબાસણાએ કહ્યું, “બાપજી ! મહારાજે સેવકને નવું ઘર કરાવ્યું તેમાં પ.પૂ. સ્વામીશ્રી અને સંતોની રસોઈ થઈ; આપને જમાડવાના બાકી છે તે આપ ઘરે તો નહિ પધારો પણ વાસણા મંદિરે આજે રસોઈ આપી દઉં અને આપ રાજી હો તો મંદિરે જ પ્રસાદી લઈ લઉં. આપ જમો તો મારો સંકલ્પ પૂરો થાય.”
ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું, “એમાં કે’વાનું થોડું હોય ?! તારું ઘર છે. તું તારે મંદિરે જ જમજે. અને રાજુભાઈ ઠક્કર ને ઘનશ્યામભાઈ મિરાણીને પણ જમવા બોલાવી લે.”
સૌ જમાડ્યા પછી મોરબી જવા ગાડીમાં બેઠા.
રસ્તામાં ગુરુવર્ય પ.પૂ. બાપજીએ પૂછ્યું, “અલ્યા, તમે બધા જમ્યા તો ખરા ને ? રસોઈ ફાવી ? શાક ફાવ્યું ? રોટલી ફાવી ?” એમ પૂછ્યું.
ત્યાં રાજેશભાઈએ કહ્યું, “બાપજી ! સંતોની રસોઈ તો ફાવે જ ને !” ઘનશ્યામભાઈ મિરાણી સાથે નહોતા તો માત્ર એક માટે તેમને ગાડીમાંથી ફોન જોડાવી પૂછ્યું, “અલ્યા, તને રસોઈ તો ફાવી ને ! તેં લાડુ કેટલા જમાડ્યા ? બસ એક ? રોટલી કેટલી જમ્યો ?”
એમ ઘનશ્યામભાઈને અને સૌને પૂછ્યું.
પછી રાજેશભાઈએ પૂછ્યું, “બાપજી ! આપે દયા કરી રસોઈની સેવાનો લાભ આપ્યો તો આપ તો ઝાઝું જમ્યા ને ?!”
ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું, “તમે બધા જમ્યા ને એમાં હું ધરાઈ ગયો. મેં સિદ્ધાંતસ્વામીને કહ્યું કે, ‘પે’લાં આ બધાને જમાડજો ને ઝાઝું પીરસજો... પછી મારા માટે લાવજો.’ તે તમે બધા જમીને રાજી થાવ એે જ ખરું ભોજન કર્યું કહેવાય.”
માતૃવાત્સલ્યભર્યા સહવાસથી, શબ્દોથી, વર્તનથી અને પ્રેમથી એમની સ્મૃતિને માનસપટમાંથી અળગી કરવી અઘરી છે.