વચનામૃત ગઢડા પ્રથમનું - ૧૦
સંવત ૧૮૭૬ના માગશર સુદિ ૧૩ તેરશને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) અમે વેંકટાદ્રિથી સેતુબંધ રામેશ્વર જાતા હતા, ત્યાં એક સેવકરામ નામે સાધુ હતો તે શ્રીમદ્ ભાગવતાદિક પુરાણને ભણ્યો હતો તે માર્ગમાં ચાલતાં માંદો પડ્યો, તેની પાસે રૂપૈયા હજારની સોનામહોરો હતી, પણ ચાકરીનો કરનારો કોઈ નહિ માટે રોવા લાગ્યો. પછી તેને અમે કહ્યું જે કાંઈ ચિંતા રાખશો મા; તમારી ચાકરી અમે કરશું. પછી ગામને બહાર એક કેળાંની ફૂલવાડી હતી, તેમાં એક વડનો વૃક્ષ હતો તે વડના વૃક્ષને વિષે હજારો ભૂત રહેતાં પણ તે સાધુ તો ચાલી શકે એવો રહ્યો નહિ, ને અતિશે માંદો થયો તે ઉપર અમને અતિશે દયા આવી પછી તે ઠેકાણે અમે તે સાધુને કેળનાં પત્ર લાવીને હાથ એક ઊંચી પથારી કરી આપી અને તે સાધુને લોહીખંડ-પેટબેસણું હતું તેને અમે ધોતા ને ચાકરી કરતા, ને તે સાધુ તો પોતાને જેટલું જોઈએ તેટલું અમારી પાસે ખાંડ, સાકર, ઘી, અન્ન તે પોતાના રૂપૈયા આપીને મંગાવતો, તે અમે લાવીને રાંધી ખવરાવતા ને અમો વસ્તીમાં જઈને જમી આવતા, ને કોઈક દિવસ તો અમને વસ્તીમાં અન્ન મળતું નહિ ત્યારે અમારે ઉપવાસ થાતો, તોપણ કોઈ દિવસ તે સાધુએ અમને એમ કહ્યું નહિ જે અમ પાસે દ્રવ્ય છે, તે આપણે બેને કાજે રસોઈ કરો ને તમે પણ અમ ભેળા જમો. પછી એમ સેવા કરતે થકે તે સાધુ બે માસે કાંઈક સાજો થયો. પછી સેતુબંધ રામેશ્વરને માર્ગે ચાલ્યા ત્યારે તેનો ભાર મણ એક હતો તે અમારે પાસે ઉપડાવતો ને પોતે તો એક માળા લઈને ચાલતો ને દેહે પણ સાજો ને એક શેર ઘી જમીને પચાવે એવો સમર્થ થયો તોપણ ભાર અમારે પાસે ઉપડાવે ને પોતે અમથો ચાલે, ને અમારી પ્રકૃતિ તો એવી હતી જે, ભાર નામે તો એક રૂમાલ પણ રાખતા નહીં. માટે તેને સાધુ જાણીને અમે એનો મણ એકનો ભાર ઉપાડી ચાલતા. (૧) એવી રીતે તે સાધુની અમે ચાકરી કરીને સાજો કર્યો, પણ તે સાધુએ અમને એક પૈસાભાર અન્ન આપ્યું નહીં. પછી અમે તેને કૃતઘ્ની જાણીને તેના સંગનો ત્યાગ કર્યો, એવી રીતે જે મનુષ્ય કર્યા કૃત્યને ન જાણે તેને કૃતઘ્ની જાણવો. અને કોઈક મનુષ્યે કાંઈક પાપ કર્યું ને તેણે તે પાપનું યથાશાસ્ત્ર પ્રાયશ્ચિત્ત કર્યું, ને વળી તેને તે પાપે યુક્ત જે કહે તેને પણ તે કૃતઘ્ની જેવો પાપી જાણવો. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૧૦।।
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે માંદાની તથા નિરાધારની સેવા કરવી, એમ દયાનું અધિકપણું જણાવ્યું છે. (૧) અને કૃતઘ્નીનું લક્ષણ કહ્યું છે અને પ્રાયશ્ચિત્ત કર્યું હોય તેને પાપે યુક્ત કહે તેને તેના જેવો જ પાપી કહ્યો છે. (૨) બાબત છે. ।।૧૦।।