વચનામૃત ગઢડા પ્રથમનું - ૩૮

સંવત ૧૮૭૬ના મહા સુદિ ૧ પડવાને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં સાંજને સમે ઘોડશાળની ઓસરીએ ગાદલું નખાવીને વિરાજમાન હતા, ને ધોળો ખેસ પહેર્યો હતો ને માથે રાતા છેડાનો ધોળો ફેંટો બાંધ્યો હતો ને દોરિયાનું અંગરખું પહેર્યું હતું ને ધોળો ચોફાળ ઓઢ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

       તે સમે શ્રીજીમહારાજ સર્વે હરિભક્ત સામું જોઈને ઝાઝી વાર વિચારી રહ્યા ને પછી એમ બોલ્યા જે (૧) સાંભળો વાત કરીએ છીએ જે, જે સત્સંગી હોય તેને જ્યાંથી પોતાને સત્સંગ થયો હોય ત્યાંથી પોતાના મનનો તપાસ કરવો જે, પ્રથમના વર્ષમાં મારું મન આવું હતું ને પછી આવું હતું અને આટલી ભગવાનની વાસના હતી ને આટલી જગતની હતી, એમ વર્ષોવર્ષનો સરવાળો વિચાર્યા કરવો. અને પોતાના મનમાં જેટલી જગતની વાસના બાકી રહી ગઈ હોય તેને થોડે થોડે નિરંતર ટાળવી, અને એમ વિચારે નહિ ને બધી ભેગી કરે તો તે વાસના એની ટળે નહિ, જેમ વણિકને ઘેર નામું કર્યું હોય તે જો મહિના મહિનાનું નિરંતર ચુકાવી દેઈએ તો દેતાં કઠણ ન પડે ને વર્ષ દહાડાનું ભેગું કરીએ તો આપવું બહુ કઠણ પડે તેમ નિરંતર વિચાર કરવો. અને મન છે તે જગતની વાસનાએ કરીને વસાણું છે, જેમ ફૂલે કરીને તિલ વસાય છે, તેમ મનને ભગવાનનાં જે ચરિત્ર તેનું જે મહિમાએ સહિત નિત્ય સ્મરણ તે રૂપ ફૂલને વિષે વાસવું, અને ભગવાનનાં ચરિત્રરૂપ જાળાને વિષે મનને ઘૂંચવી મેલવું ને ભગવાનના ઘાટ મનમાં કર્યા કરવા, એક શમ્યો ને બીજો કરવો; બીજો શમ્યો ને ત્રીજો કરવો એમ ને એમ મનને નવરું રહેવા દેવું નહીં. એમ કહીને પછી ભૂતનું દૃષ્ટાંત વિસ્તારીને કહી દેખાડ્યું ને પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એવી રીતે ભગવાનનાં જે ચરિત્ર તથા વાર્તા તથા દર્શન તે એક દિવસનાં જો સંભારવા માંડે તો તેનો પાર ન આવે તો સત્સંગ થયા તો દશ-પંદર વર્ષ થયાં હોય તે એનો તો પાર જ ન આવે, અને તે એવી રીતે સંભારવાં જે, આ ગામમાં આવી રીતે મહારાજ તથા પરમહંસની સભા થઈ અને આવી રીતે મહારાજની પૂજા થઈ ને આવી રીતે વાર્તા થઈ ઇત્યાદિક જે ભગવાનનાં ચરિત્ર તેને વારંવાર સંભારવાં; અને જે ઝાઝું ન સમજતો હોય તેને તો એમ કરવું એ જ શ્રેષ્ઠ ઉપાય છે, એ જેવો બીજો નથી. ત્યારે તમે કહેશો જે, અન્ન થોડું ખાઈએ તથા ઘણા ઉપવાસ કરીએ તો તે અમે કહેતા નથી, એ તો જેમ જેના નિયમ કહ્યા છે તે પ્રમાણે સાધારણપણે રહેવું અને કરવાનું તો આ અમે તમને કહ્યું તે છે. અને અમે તો એમ માન્યું છે જે, મન નિર્વાસનિક જોઈએ અને દેહે કરીને ગમે તેટલી પ્રવૃત્તિ હોય ને તેનું મન જો શુદ્ધ છે તો તેનું અતિ ભૂંડું થાય નહિ અને બાહેર લોકમાં તો તે પ્રવૃત્તિવાળાનું ભૂંડા જેવું જણાય અને જેને મનમાં વાસના હોય ને તે બાહેર સારી પેઠે નિવૃત્તિપરાયણ વર્તતો હોય તો તેનું બાહેર લોકમાં તો સારું જણાય પણ તેના જીવનું અતિ ભૂંડું થાય, કેમ જે મૂઆ ટાણે તો જેવા મનમાં સંકલ્પ હોય તેવા સ્ફુરી આવે, જેમ ભરતજીને અંતકાળમાં મૃગનું બાળક સ્ફુરી આવ્યું ત્યારે મૃગને આકારે થઈ ગયા ને પ્રથમ રાજ્ય મેલ્યું હતું ને ઋષભદેવ ભગવાન તો પોતાના બાપ હતા તોપણ એમ થયું, માટે મને કરીને નિર્વાસનિક રહેવું એ અમારો મત છે. અને જે ઉપવાસ કરવા તેણે કરીને દેહ દુર્બળ થાય ત્યારે મન દુર્બળ થાય તો ખરું, પણ જ્યારે દેહ પુષ્ટ થાય ત્યારે વળી મન પુષ્ટ થાય, માટે દેહે કરીને ત્યાગ ને મને કરીને ત્યાગ એ બે ભેળાં જોઈએ અને જેને મનમાં ભગવાનના ઘાટ થાતા હોય ને જગતના ઘાટ ન થાતા હોય તે આપણા સત્સંગમાં મોટેરો છે ને એવો જે ન હોય તે નાનેરો છે. અને ગૃહસ્થ હોય તેને પણ દેહે કરીને વ્યવહાર કરવો ને મને કરીને તો ત્યાગીની પેઠે જ નિર્વાસનિક રહેવું ને ભગવાનનું ચિંતવન કરવું ને વ્યવહાર તો ભગવાનને વચને કરીને રાખવો, અને મનનો ત્યાગ સાચો ન હોય તો જનક જેવા રાજા હતા તે રાજ્ય કરતા ને મન તો મોટા યોગેશ્વરના જેવું હતું, તે માટે મને કરીને જે ત્યાગ તે જ ઠીક છે, અને જે પોતાના મનમાં ભૂંડા ઘાટ થાતા હોય તે કહેવા પણ જેમ કૂતરાનું મુખ કૂતરો ચાટેતથા સર્પને ઘેર પરોણો સાપ, મુખ ચાટીને વળીઓ આપતથા રાંડીની પાસે સુવાસણી સ્ત્રી જાય ત્યારે તે કહે જે આવ્ય બાઈ, હું જેવી તું પણ થા, તેમ પોતાની પેઠે જેને ભૂંડા ઘાટ થાતા હોય તેને આગળ જે ઘાટ કહેવો તે તો આ દૃષ્ટાંત દીધાં એમ છે, માટે ઘાટ કેને કહેવો તો જેના મનમાં કોઈ દિવસ જગતનો ભૂંડો ઘાટ ન થાતો હોય એવો બળિયો હોય તેની આગળ કહેવો અને એમ ઘાટ ન થાય એવા પણ ઘણા હોય તેમાંથી પણ એવાને ઘાટ કહેવો જે તે ઘાટને સાંભળીને તે ઘાટ ઉપર વાત કરે, તે જ્યાં સુધી તે કહેનારાનો ઘાટ ટળી જાય, ત્યાં સુધી બેસતો-ઊઠતો, ખાતો-પીતો, સર્વ ક્રિયામાં વાત કર્યા કરે, અને તે ઘાટ ટાળ્યામાં કેવી ચાડ્ય હોય તો જેમ પોતાના ઘાટને ટાળવાની ચાડ્ય હોય તેવી જ હોય, એવા આગળ ઘાટ કહેવો; અને જેની આગળ ઘાટ કહીએ ને તે આવી રીતે વાત તો ન કરે ને પોતે આળસુ હોય તો શો સમાસ થાય ? માટે એવી રીતે પોતાના મનના ઘાટ કહીને તે ઘાટને ટાળી નાખીને પોતાના મનને વિષે કેવળ ભગવાનના ઘાટ કર્યા કરવા ને જગતના સુખથી નિર્વાસનિક થાવું. અને એકાદશીનો ઉપવાસ કરવો તેનું શું લક્ષણ છે તો, દશ ઇન્દ્રિયો ને અગિયારમું મન તેમને પોતપોતાના વિષયમાંથી કાઢીને ભગવાનમાં જોડવાં તેને એકાદશીનું વ્રત કર્યું કહેવાય, ને એવું વ્રત તો ભગવાનના ભક્તને નિરંતર કર્યા કરવું. અને એવી રીતે જેનું મન નિર્વાસનિક ન હોય ને દેહે કરીને તો વ્રત-તપ કરે તોપણ તેનું અતિશે સારું થાતું નથી, માટે જે ભગવાનનો ભક્ત હોય તેને પોતપોતાના ધર્મમાં રહીને, ને ભગવાનનું માહાત્મ્ય સમજીને, પોતાના મનને નિર્વાસનિક કરવાનો નિત્યે અભ્યાસ રાખવો, એમ વાર્તા કરી. (૧) અને વળી શ્રીજીમહારાજે બીજી વાર્તા કરી જે, સાચો ત્યાગી કેને કહીએ તો જે પદાર્થનો ત્યાગ કર્યો તેનો પાછો કોઈ દિવસ મનમાં સંકલ્પ પણ ન થાય, જેમ વિષ્ટાનો ત્યાગ કર્યો છે તેનો પાછો સંકલ્પ થાતો નથી તેમ સંકલ્પ ન થાય. ત્યાં શુકજી પ્રત્યે નારદજીનો કહેલો શ્લોક છે જે ।। त्यज धर्ममधर्म ।।  એ શ્લોકનું હાર્દ એ છે જે, એક આત્મા વિના બીજા જે જે પદાર્થ છે તેનો ત્યાગ કરીને કેવળ આત્માપણે વર્તવું ને ભગવાનની ઉપાસના કરવી તેને પૂરો ત્યાગી કહીએ; અને જે ગૃહસ્થ હરિભક્ત હોય તે તો જેમ જનક રાજાએ કહ્યું જે, આ મારી મિથિલા નગરી બળે છે, પણ તેમાં મારું કાંઈ બળતું નથી, ત્યાં શ્લોક છે જે:-

मिथिभायां प्रदीप्तायां न मे दह्यति किंचन ।।

          એમ સમજે ને ગૃહમાં રહેતો હોય તે ગૃહસ્થ હરિભક્ત ખરો કહેવાય, અને એવી રીતનો જે ત્યાગી ન હોય ને એવી રીતનો જે ગૃહસ્થ ન હોય તે તો પ્રાકૃત ભક્ત કહેવાય, અને મોરે કહ્યો એવો જે હોય તે તો એકાંતિક ભક્ત કહેવાય, એવી રીતે વાર્તા કરી. (૨)

       પછી મોટા આત્માનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે, (૨) દેહ, ઇન્દ્રિયો તથા અંતઃકરણ તથા દેવતા તેથી જુદો જે જીવાત્મા તેનું રૂપ કેવી રીતે છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, થોડાકમાં એનો ઉત્તર કરીએ છીએ જે, દેહ ને ઇન્દ્રિયાદિકના સ્વરૂપનો જે વક્તા તે સર્વેના સ્વરૂપને જુદું જુદું કરીને શ્રોતાને સમજાવે છે તે જે સમજાવનારો વક્તા તે દેહાદિક સર્વના પ્રમાણનો કરનારો છે ને જાણનારો છે ને સર્વેથી જુદો છે એને જીવ કહીએ, અને જે શ્રોતા છે તે દેહાદિકના રૂપને જુદાં જુદાં સમજે છે ને એનું પ્રમાણ કરે છે ને એને જાણે છે ને એ સર્વેથી જુદો છે એને જ જીવ કહીએ, એવી રીતે જીવના સ્વરૂપને સમજવાની રીત છે એવી રીતે વાર્તા કરી. (૩) ઇતિ વચનામૃતમ્‌ ।।૩૮।।    

રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલું કૃપાવાક્ય છે તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, પોતાના મનનો નિરંતર તપાસ કરવો તથા અમારી મૂર્તિમાં નિમગ્ન રહી ન શકે તેને અમારાં લીલા-ચરિત્ર સંભારવાં, તથા અમારી મૂર્તિનું ચિંતવન કરવું, તથા બીજાના ઘાટને ટાળી નાખે એવા અમારા સમર્થ મુક્તનો સંગ કરવો ને પોતપોતાના ધર્મમાં રહેવું, અને અમારો મહિમા સમજીને નિર્વાસનિક થાવું. (૧) અને અમારા વિના બીજો સંકલ્પ જ ન થાય ને આત્માપણે વર્તે ને અમારી ઉપાસના કરે તે સાચો ત્યાગી છે, અને અમારા વિના બીજું કાંઈ પોતાનું મનાય જ નહિ તે ખરો હરિભક્ત છે. (૨) બીજા પ્રશ્નમાં જે સમજાવી શકે ને સમજી શકે તે જીવનું સ્વરૂપ કહ્યું છે. (૩) બાબતો છે.

૧      પ્ર. પહેલા પ્રશ્નમાં જેને ઘાટ થતા હોય ને જેને ઘાટ ન થતા હોય ને જે બીજાના ઘાટ ટાળી નાખે તેને કેવા જાણવા ?

૧      ઉ. જેને ઘાટ થાતા હોય તે પ્રાકૃત ગુણબુદ્ધિવાળા જાણવા, અને જેને ઘાટ ન થાતા હોય તેને એકાંતિક સંત જાણવા, અને બીજાના ઘાટને ટાળી નાખે તેને સિદ્ધદશાવાળા જાણવા. ।।૩૮।।