SMVS

વચનામૃત ગઢડા પ્રથમનું - ૬

સંવત ૧૮૭૬ના માગશર સુદિ ૯ નવમીને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) આ સત્સંગમાં જે વિવેકી છે તે તો દિવસે દિવસે પોતાને વિષે અવગુણને દેખે છે ને ભગવાન ને ભગવાનના ભક્તને વિષે ગુણને દેખે છે ને ભગવાન ને સાધુ પોતાના હિતને અર્થે કઠણ વચન કહે છે તેને પોતાના હિતકારી માને છે ને દુઃખ નથી લગાડતો તે તો દિવસે દિવસે સત્સંગને વિષે મોટપને પામે છે. (૧) અને જે અવિવેકી છે તે તો જેમ જેમ સત્સંગ કરે છે ને સત્સંગની વાત સાંભળે છે તેમ તેમ પોતાને વિષે ગુણ પરઠે છે અને ભગવાન ને સંત એનો દોષ દેખાડીને એની આગળ વાત કરે છે તે વાતને માને કરીને અવળી લે છે ને વાતના કરનારાનો અવગુણ લે છે તે તો દિવસે દિવસે ઘટતો જાય છે ને સત્સંગમાં પ્રતિષ્ઠાહીન થઈ જાય છે, માટે પોતાને વિષે જે ગુણનું માન તેનો ત્યાગ કરીને શૂરવીર થઈને ભગવાન ને ભગવાનના સંતને વિષે વિશ્વાસ રાખે તો એનો અવિવેક ટળી જાય છે ને સત્સંગમાં મોટપને પામે છે. (૨) ઇતિ વચનામૃતમ્‌ ।।।।

          રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં જે પોતાના ગુણના માનનો ત્યાગ કરીને અમારો ને સંતનો વિશ્વાસ રાખે તે મોટપ પામે છે. (૧) અને અવિવેકીને એના દોષ ટાળવાની અમે તથા સંત વાર્તા કરીએ તેને માને કરીને અવળી લે ને અમારો ને સંતનો અવગુણ લે તે પ્રતિષ્ઠાહીન થઈ જાય છે, એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૨) બાબત છે. ।।૬।।