વચનામૃત ગઢડા પ્રથમનું - ૨૪
સંવત ૧૮૭૬ના પોષ સુદિ ૬ છઠને દિવસ સંધ્યા સમે શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો ને ધોળો ખેસ પહેર્યો હતો તથા ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી ને ધોળો ચોફાળ ઓઢ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા જે, (૧) જે રીતે જ્ઞાને કરીને સ્થિતિ થાય છે તે કહીએ છીએ. તે જ્ઞાન કેવું છે તો પ્રકૃતિપુરુષથી પર છે, ને એ જ્ઞાનને વિષે સ્થિતિ થાય છે, ત્યારે પ્રકૃતિપુરુષ ને પ્રકૃતિપુરુષનું જે કાર્ય તે કાંઈએ નજરમાં આવતું નથી. ને એનું નામ જ્ઞાનપ્રલય કહેવાય છે અને એવી સ્થિતિ થાય છે તેને એકરસ ચૈતન્ય ભાસે છે, ને તેને વિષે એક ભગવાનની મૂર્તિ જ રહે છે, પણ બીજો કોઈ આકાર રહેતો નથી અને ક્યારેક તો એ પ્રકાશમાં ભગવાનની મૂર્તિ પણ દેખાય નહિ; એકલો પ્રકાશ જ દેખાય છે ને ક્યારેક તો પ્રકાશ પણ દેખાય ને ભગવાનની મૂર્તિ પણ દેખાય, એને જ્ઞાને કરીને સ્થિતિ જાણવી. (૧) અને જેવી ભગવાનની મૂર્તિ પ્રગટ દેખાય છે તે મૂર્તિને વિષે અખંડ વૃત્તિ રહે તેણે કરીને એવી સ્થિતિ થાય છે. (૨) ને જેને જેવો ભગવાનનો મહિમા સમજાણો હોય તેના હૃદયમાં તેટલો જ પ્રકાશ થાય છે, ને તેટલો જ તેને પ્રણવ ને નાદ સંભળાય છે, ને જેટલો જેને ભગવાનનો નિશ્ચય, ને મહિમા સમજાય છે તેને તેટલા ભૂંડા ઘાટ બંધ થઈ જાય છે. ને જ્યારે ભગવાનનો નિશ્ચય યથાર્થ થાય છે, ને યથાર્થ મહિમા સમજાય છે ત્યારે તેને ભૂંડા ઘાટમાત્ર ટળી જાય છે. જેમ લીંબુની એક ચીર્ય ચૂસી હોય તો થોડા થોડા દાંત અંબાય પણ હળવા હળવા ચણા ચવાય ખરા, ને જો આખું લીંબુ ચૂસ્યું હોય તો ચણા ચવાય નહિ ને મગનો દાણો પરાણે પરાણે ચવાય, અને જો ઘણાં લીંબુ ચૂસ્યાં હોય તો રાંધેલો ભાત પણ ચવાય નહિ, તેમ ભગવાનના નિશ્ચય ને માહાત્મ્યરૂપી જેને ખટાઈ ચડી હોય તેની ચાર અંતઃકરણ ને દશ ઇન્દ્રિયોરૂપ જે દાઢ્યો તે સર્વે અંબાઈ જાય છે, ત્યારે એ જીવ મનરૂપ પોતાની દાઢ્યે કરીને વિષયના સંકલ્પરૂપી ચણાને ચાવવાને સમર્થ થાતો નથી. તેમ જ ચિત્તરૂપ પોતાની દાઢ્યે કરીને વિષયનું ચિંતવન કરવા સમર્થ થાતો નથી. તેમ જ બુદ્ધિરૂપ પોતાની દાઢ્યે કરીને વિષયનો નિશ્ચય કરવા સમર્થ થાતો નથી. તેમ જ અહંકારરૂપ પોતાની દાઢ્યે કરીને વિષય સંબંધી અભિમાન કરવા સમર્થ થાતો નથી, તેમ જ પંચ જ્ઞાનઇન્દ્રિયો ને પંચ કર્મઇન્દ્રિયોરૂપ જે દાઢ્યો છે, તે દાઢ્યે કરીને તે તે ઇન્દ્રિયોના વિષયરૂપ જે ચણા તેને ચાવવાને સમર્થ થાતો નથી. અને જેને યથાર્થ ભગવાનનો નિશ્ચય ન હોય, ને યથાર્થ ભગવાનનો મહિમા જણાણો ન હોય તેનાં ઇન્દ્રિયો તથા અંતઃકરણ તે પોતપોતાના વિષય થકી યથાર્થપણે નિવૃત્તિ પામતાં નથી. (૩) અને જે ભગવાનનું સ્વરૂપ છે તે તો માયા ને માયાના જે ગુણ તે થકી પર છે, અને સર્વે વિકારે રહિત છે, પણ જીવના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા ભાસે છે તે ભગવાનને વિષે જે અલ્પમતિવાળા છે, તે જેવા જેવા દોષ કલ્પે છે તે ભગવાનને વિષે તો એકે દોષ નથી, પણ કલ્પનારાની બુદ્ધિમાંથી એ દોષ કોઈ કાળે ટળવાના નહિ. તેમાં જે ભગવાનને કામી સમજે છે તે પોતે અત્યંત કામી થઈ જાય છે, અને જે ભગવાનને ક્રોધી સમજે છે તે પોતે અત્યંત ક્રોધી થઈ જાય છે, ને જે ભગવાનને લોભી સમજે છે તે પોતે અત્યંત લોભી થઈ જાય છે, અને જે ભગવાનને ઈર્ષ્યાવાન સમજે છે તે પોતે અત્યંત ઈર્ષ્યાવાન થઈ જાય છે, એ આદિક જે જે દોષ ભગવાનને વિષે કલ્પે છે તે તો જેમ સૂર્ય સામી ધૂળની ફાંટ ભરીને નાખીએ તે પોતાની આંખમાં પડે છે, તેમ ભગવાનને વિષે જે જાત્યનો દોષ કલ્પે છે તે પોતાને દુઃખ દે છે. અને પોતામાં ગમે તેવા ભૂંડા સ્વભાવ હોય ને જો ભગવાનને અતિશે નિર્દોષ સમજે, તો પોતે પણ અતિશે નિર્દોષ થઈ જાય છે. (૪)
૨ પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું જે, (૨) કોઈ વિષયમાં પણ પોતાનાં ઇન્દ્રિયો તણાતાં ન હોય, ને અંતઃકરણમાં પણ ખોટા ઘાટ થાતા ન હોય, ને ભગવાનનો નિશ્ચય પણ યથાર્થ છે; તોપણ અપૂર્ણપણું રહે છે, ને અંતર સૂનું રહે છે તેનું શું કારણ છે ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, એ પણ હરિભક્તમાં મોટી ખોટ્ય છે; જે પોતાનું મન સ્થિર થયું છે ને ભગવાનનો નિશ્ચય પણ અતિશે દૃઢ છે તોય પણ હૈયામાં અતિશે આનંદ આવતો નથી જે હું ધન્ય છું, ને હું કૃતાર્થ થયો છું, ને આ સંસારમાં જે જીવ છે તે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા તેને વિષે હેરાન થાતા ફરે છે, અને ત્રિવિધ તાપમાં રાત્ય-દિવસ બળે છે ને મુને તો પ્રગટ પુરુષોત્તમે કરુણા કરીને પોતાનું સ્વરૂપ ઓળખાવ્યું છે, ને કામક્રોધાદિક સર્વે વિકારથી રહિત કર્યો છે, અને નારદ-સનકાદિક જેવા સંત તેના સમાગમમાં રાખ્યો છે, માટે મારું મોટું ભાગ્ય છે, એવો વિચાર નથી કરતો, ને આઠે પહોર અતિશે આનંદમાં નથી વર્તતો એ મોટી ખોટ્ય છે. જેમ બાળકના હાથમાં ચિંતામણિ દીધો હોય, તેનું તેને માહાત્મ્ય નથી એટલે તેનો તેને આનંદ નથી, તેમ ભગવાન પુરુષોત્તમ મળ્યા છે ને તેનો અંતરમાં આઠે પહોર કેફ રહેતો નથી જે, મારું પૂર્ણકામપણું થયું છે એવું નથી સમજતો એ હરિના ભક્તને મોટી ખોટ્ય છે. (૫) અને જ્યારે કોઈ હરિભક્તનો દોષ નજરમાં આવે ત્યારે એમ સમજવું જે આનો સ્વભાવ તો સત્સંગમાં ન ઘટે એવો છે તોય પણ એને જો સત્સંગ મળ્યો છે ને એ જો જેવોતેવો છે તોય પણ સત્સંગમાં પડ્યો છે, તો એનો પૂર્વજન્મનો અથવા આ જન્મનો સંસ્કાર ભારે છે તો આવો સત્સંગ મળ્યો છે, એમ સમજીને તેનો પણ અતિશે ગુણ લેવો. એમ વાર્તા કરીને શ્રીજીમહારાજ જય સચ્ચિદાનંદ કહીને પોતાને ઉતારે પધાર્યા. (૬) ઇતિ વચનામૃતમ્ ।।૨૪।।
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલું કૃપાવાક્ય છે. તેમાં જ્ઞાને કરીને સ્થિતિ થાય ત્યારે એકરસ ચૈતન્ય ભાસે છે ને એ ચૈતન્યને વિષે અમારી મૂર્તિ ભાસે છે. (૧) અને એવી સ્થિતિ અમારી મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખવાથી થાય છે. (૨) અને અમારો મહિમા જણાય તેના હૃદયમાં પ્રકાશ થાય છે, ને પ્રણવ ને નાદ સંભળાય છે, ને ભૂંડા ઘાટ ટળી જાય છે. (૩) અને અમારે વિષે જે જે દોષ કલ્પે તે એને દુઃખ દે છે. અને અમને નિર્દોષ જાણે તે નિર્દોષ થઈ જાય છે. (૪) બીજામાં જેનું મન સ્થિર થયું હોય ને અમારો નિશ્ચય પણ દૃઢ હોય તોપણ તેના હૈયામાં આનંદ આવતો નથી તે મોટી ખોટ્ય છે. (૫) અને કોઈ હરિજનનો દોષ દેખવામાં આવે, ત્યારે એનો ભારે સંસ્કાર છે તો સત્સંગ મળ્યો છે એમ ગુણ લેવો એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૬) બાબતો છે.
૧ પ્ર. પહેલા પ્રશ્નમાં પ્રકૃતિપુરુષથી પર જ્ઞાન કહ્યું તે પર જ્ઞાન કેવી રીતે જાણવું ?
૧ ઉ. શ્રીજીમહારાજને જીવકોટિ, ઈશ્વરકોટિ, બ્રહ્મકોટિ તથા મૂર્તિમાન મૂળઅક્ષરકોટિથી પર ને એ સર્વેના કર્તા ને એ સર્વેને વિષે અંતર્યામીપણે રહ્યા થકા અતિશે નિર્લેપ, નિર્વિકાર ને અતિશે અસંગી ને એ સર્વેથી જુદા જાણે, અને પોતાના ધામને વિષે પોતાના સાધર્મ્યપણાને પામ્યા એવા જે પોતાના મુક્ત તેમને સુખદાતા, ને સર્વ સુખમય મૂર્તિ એવા જાણે, ને શ્રીજીમહારાજના તેજરૂપ જે પોતાનો આત્મા તેને વિષે શ્રીજીમહારાજની મૂર્તિને સાક્ષાત્કાર દેખે તે જ્ઞાન પ્રકૃતિપુરુષથી પર કહેવાય. અને તે મૂર્તિમાં અખંડ નિમગ્ન રહેવાય તે સ્થિતિ જાણવી.
૨ પ્ર. એકરસ ચૈતન્ય ભાસે છે એમ કહ્યું તે એકરસ ચૈતન્ય તે શું જાણવું ?
૨ ઉ. શ્રીજીમહારાજના તેજને એકરસ ચૈતન્ય કહ્યું છે તેને દેખે છે.
૩ પ્ર. ક્યારેક એકલો પ્રકાશ દેખાય ને મૂર્તિ ન દેખાય એમ કહ્યું તેનો શો હેતુ હશે ?
૩ ઉ. જ્યાં સુધી સિદ્ધદશા પરિપક્વ ન થઈ હોય ત્યાં સુધી કોઈક વખતે શ્રીજીમહારાજના તેજરૂપ પોતાના આત્માને વિષે મૂર્તિ દેખાય, ને કોઈ વખત ન દેખાય અને જ્યારે પરિપક્વ સિદ્ધદશા જેવી (કા. ૭ના ૪/૫ ચોથા પ્રશ્નમાં) કહી છે તેવી દૃઢ થાય ત્યારે મૂર્તિ સદાય દેખાય.
૪ પ્ર. (ત્રીજી બાબતમાં) પ્રકાશ, પ્રણવ ને નાદ કહ્યો તે શો સમજવો ?
૪ ઉ. શ્રીજીમહારાજની મૂર્તિમાંથી તેજ છૂટે છે તેના ઝણઝણાટ જુદા જુદા શબ્દ થાય છે તે શબ્દને પ્રણવ કહ્યો છે અને તે પ્રણવનો ઘોષ થાય છે, તે ઘોષને નાદ કહ્યો છે, અને એ તેજને પ્રકાશ કહ્યો છે.
૫ પ્ર. (ચોથી બાબતમાં) અમારે વિષે દોષ દેખાય એમ કહ્યું, તે મનુષ્ય રૂપે હતા ત્યારે તો દોષ જોનારા ને દેખાય પણ આજ દોષ શી રીતે લેવાતા હશે ?
૫ ઉ. શ્રીજીમહારાજનાં ચરિત્ર શાસ્ત્રમાંથી સાંભળીને સંશય કરે તે શ્રીજીમહારાજનો દોષ લીધો કહેવાય.
૬ પ્ર. (૨/૫ બીજા પ્રશ્નમાં) નારદ-સનકાદિક કહ્યા તે કોને જાણવા ?
૬ ઉ. પોતાના મુક્તોને આ ઠેકાણે એ નામે કહ્યા છે. ।।૨૪।।