SMVS

વચનામૃત ગઢડા પ્રથમનું - ૫૩

સંવત ૧૮૭૬ના મહા વદિ ૯ નવમીને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે વિરાજમાન હતા ને ધોળો સુરવાળ પહેર્યો હતો ને ધોળો અંગરખો પહેર્યો હતો ને જરકસી છેડાનું કસુંબલ ભારે શેલું કેડે બાંધ્યું હતું ને જરકસી છેડાનો ભારે કસુંબલ રેંટો માથે બાંધ્યો હતો ને તે પાઘમાં પુષ્પના તોરા ઝૂકી રહ્યા હતા ને કંઠમાં પુષ્પના હાર પહેર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ સર્વે મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

       પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, કોઈ પ્રશ્ન પૂછો. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૧) કોઈક તો સત્સંગમાં રહીને દિવસ દિવસ પ્રત્યે વૃદ્ધિને પામતો જાય છે ને કોઈક તો સત્સંગમાં રહીને દિવસ દિવસ પ્રત્યે ઘટતો જાય છે તેનું શું કારણ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, મોટા જે સાધુ તેનો જે અવગુણ લે છે તે ઘટતો જાય છે ને તે સાધુનો જે જે ગુણ લે છે તેનું અંગ વૃદ્ધિ પામતું જાય છે ને તેને ભગવાનને વિષે ભક્તિ પણ વૃદ્ધિ પામે છે, માટે તે સાધુનો અવગુણ ન લેવો, ને ગુણ જ લેવો ને અવગુણ તો ત્યારે લેવો જ્યારે પરમેશ્વરની બાંધેલ જે પંચવર્તમાનની મર્યાદા તેમાંથી કોઈક વર્તમાનનો તે સાધુ ભંગ કરે ત્યારે તેનો અવગુણ લેવો, પણ કોઈ વર્તમાનમાં તો ફેર ન હોય ને તેની સ્વાભાવિક પ્રકૃતિ ઠીક ન જણાતી હોય તેને જોઈને તે સાધુમાં બીજા ઘણાક ગુણ હોય તેનો ત્યાગ કરીને જો એકલા અવગુણને જ ગ્રહણ કરે તો તેના જ્ઞાન-વૈરાગ્યાદિક જે શુભ ગુણ તે ઘટી જાય છે, માટે વર્તમાનમાં ફેર હોય તો જ અવગુણ લેવો પણ અમથો ભગવાનના ભક્તનો અવગુણ લેવો નહિ, ને જો અવગુણ લે નહિ તો તેને શુભ ગુણની દિવસ દિવસ પ્રત્યે વૃદ્ધિ થાતી જાય છે. (૧) ઇતિ વચનામૃતમ્‌ ।।૫૩।। 

રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં પંચવર્તમાને યુક્ત એવા જે અમારા મોટા સાધુ તેની સ્વાભાવિક પ્રકૃતિ દેખીને તેનો અવગુણ લે તેના ભક્તિ-જ્ઞાનાદિક શુભ ગુણ ઘટી જાય છે અને એવા સાધુનો ગુણ લે તો તેના શુભ ગુણ વૃદ્ધિ પામે છે. અને પંચવર્તમાનમાં ફેર હોય તો અવગુણ લેવો એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૧) બાબત છે. (આ સ્વાભાવિક પ્રકૃતિનો ખુલાસો પ્ર. ૩૧ના ૧ પહેલા પ્રશ્નોત્તરમાં છે.) ।।૫૩।।