વચનામૃત ગઢડા પ્રથમનું - ૧૩
સંવત ૧૮૭૬ના માગશર વદિ ૧ પડવાને દિવસ રાત્રિને સમે શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની સમીપે લીંબડાના વૃક્ષની હેઠે ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા. અને રાતો સુરવાળ પહેર્યો હતો ને રાતી ડગલી પહેરી હતી ને માથે સોનેરી શેલું બાંધ્યું હતું, ને કટિને વિષે સોનેરી શેલું બાંધ્યું હતું, અને કંઠને વિષે મોતીની માળાઓ પહેરી હતી, ને પાઘને વિષે મોતીના તોરા લટકતા મૂક્યા હતા. અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજને નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૧) દેહ દેહ પ્રત્યે જીવ એક છે કે અનેક છે ? ને જો એક કહેશો તો વડ-પીપર આદિક જે વૃક્ષ છે તેની ડાળખીઓ કાપીને બીજે ઠેકાણે રોપે છે ત્યારે તેવો ને તેવો જ વૃક્ષ થાય છે એ તે એક જીવ બે પ્રકારે થયો કે બીજે જીવે પ્રવેશ કર્યો ? ને કહેશો જે એ તો એનો એ જીવ છે તો જીવ તો અખંડ છે ને અચ્યુત છે તે કપાણો કેમ ?
ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, લ્યો એનો ઉત્તર કરીએ જે, શ્રીકૃષ્ણ ભગવાન છે તેની પુરુષ ને પ્રકૃતિ એ બે શક્તિઓ છે તે જગતની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય તેનું કારણ છે, તે પુરુષ ને પ્રકૃતિરૂપ જે પોતાની બે શક્તિઓ તેનું ગ્રહણ કરીને પોતે વિરાટ રૂપને ધારતા હવા. ને તે વિરાટ રૂપ જે એ ભગવાન તે પ્રથમ બ્રાહ્મકલ્પને વિષે તો પોતાના અંગ થકી બ્રહ્માદિક સ્તંબ પર્યંત સમગ્ર જીવને સૃજતા હવા. ને પાદ્મકલ્પને વિષે તો એ ભગવાન બ્રહ્મા રૂપે કરીને મરીચ્યાદિકને સૃજતા હવા. ને કશ્યપ ને દક્ષ રૂપે કરીને દેવ, દૈત્ય, મનુષ્ય ને પશુપક્ષ્યાદિક સમગ્ર સ્થાવર-જંગમ જે જીવ તેને સૃજતા હવા. એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તે જે તે પુરુષપ્રકૃતિરૂપ જે પોતાની શક્તિ તેણે સહિત થકા જીવ જીવ પ્રત્યે અંતર્યામી રૂપે રહ્યા છે, ને જે જીવે જેવાં કર્મ કર્યાં છે તે જીવને તેવા દેહને પમાડે છે, ને તે જીવ છે તેણે પૂર્વજન્મને વિષે કેટલાંક કર્મ તો સત્ત્વગુણ પ્રધાનપણે કરીને કર્યાં છે, ને કેટલાંક કર્મ તો રજોગુણ પ્રધાનપણે કરીને કર્યાં છે, ને કેટલાંક કર્મ તો તમોગુણ પ્રધાનપણે કરીને કર્યાં છે તે કર્મને અનુસારે કરીને એ જીવને ભગવાન જે તે ઉદ્ભિજ જાતિના જે દેહ ને જરાયુજ જાતિના જે દેહ ને સ્વેદજ જાતિના જે દેહ ને અંડજ જાતિના જે દેહ તેને પમાડે છે, ને સુખ, દુઃખરૂપ જે તે કર્મનાં ફળ તેને પમાડે છે અને તે જીવના કર્મને અનુસારે કરીને તેના દેહ થકી બીજા દેહને સૃજે છે, જેમ કશ્યપ આદિક પ્રજાપતિના દેહ થકી અનેક જાતિના દેહને સૃજતા હવા, તેમ એના એ ભગવાન અંતર્યામી રૂપે કરીને સમગ્ર જીવ જીવ પ્રત્યે રહ્યા થકા જે દેહ થકી જેમ ઊપજ્યાની રીતિ હોય તેમ બીજા દેહને ઉપજાવે છે, પણ જે જીવ થકી બીજા દેહને ઉપજાવે છે, તે જીવ જ અનેક રૂપે થાય એમ નથી, એ તો જે જીવને જેના દેહ થકી ઊપજ્યાનો કર્મસંબંધ પ્રાપ્ત થયો હોય તે જીવને તે દ્વારાએ ઉપજાવે છે. (૧) ઇતિ વચનામૃતમ્ ।।૧૩।। રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં પુરુષ ને પ્રકૃતિ એ બે જે અમારી શક્તિઓ તેણે સહિત જીવ જીવ પ્રત્યે અંતર્યામી રૂપે રહ્યા થકા જે જીવને જેના દેહ થકી ઊપજ્યાનો કર્મસંબંધ પ્રાપ્ત થયો હોય તે જીવને તે દ્વારે ઉપજાવીએ છીએ, પણ જીવ અનેક રૂપે થતો નથી, એમ શ્રીજીમહારાજે ક્હ્યું છે. (૧) બાબત છે.
૧ પ્ર. પુરુષ, પ્રકૃતિ બે શક્તિઓ કહી તે પુરુષ કોને જાણવા ? ને પ્રકૃતિ કોને જાણવી ?
૧ ઉ. પરોક્ષ શાસ્ત્રમાં જેને શ્રીકૃષ્ણ કહ્યા છે તેને આ ઠેકાણે પુરુષ કહ્યા છે તે (મ. ૩૧ના બીજા પ્રશ્નમાં) બહુધા શાસ્ત્રમાં પુરુષને જ પુરુષોત્તમ કહ્યા છે, અને લક્ષ્મીરૂપ જે માયા તેને આ ઠેકાણે પ્રકૃતિ કહી છે.
૨ પ્ર. બ્રાહ્મકલ્પ તથા પાદ્મકલ્પ કહ્યા તે શું સમજવું ?
૨ ઉ. શેષશાયી નારાયણ જે તે નિમિત્ત પ્રલયમાં શેષશય્યાને વિષે જળાર્ણવમાં સૂતા હતા. તેની નાભિમાં પદ્મ થયું તેમાં બ્રહ્મા ઉત્પન્ન થયા ને તે પદ્મમાં બ્રહ્માએ ચૌદ લોકની રચના કરી તેને પાદ્મકલ્પ કહે છે. ને બ્રહ્માએ અંગ થકી સૃષ્ટિ કરી તે બ્રાહ્મકલ્પ કહેવાય છે.
૩ પ્ર. પુરુષપ્રકૃતિએ સહિત જીવ જીવ પ્રત્યે અંતર્યામી રૂપે કેવી રીતે રહ્યા હશે ?
ઉ. જીવ જીવ પ્રત્યે પુરુષ અંતર્યામી રૂપે પોતાના તેજ દ્વારે રહ્યા છે તે (પ્ર. ૪૬માં) પ્રકૃતિના કાર્યને વિષે અન્વય-વ્યતિરેકપણું પુરુષનું જ કહ્યું છે. અને (પ્ર. ૭માં તથા સા. ૫ના બીજા પ્રશ્નમાં) પ્રકૃતિપુરુષાદિક સર્વેને વિષે અક્ષરનું અન્વયપણું કહ્યું છે ને અક્ષરમાં, મુક્તજીવમાં તથા મૂળપુરુષ ઈશ્વરમાં તથા માયાબદ્ધ જીવ એ સર્વેમાં શ્રીજીમહારાજનું અન્વયપણું કહ્યું છે. અને (પ્ર. ૪૧માં) અક્ષરથી લઈને પશુપક્ષ્યાદિક સર્વેને વિષે શ્રીજીમહારાજ અંતર્યામીપણે તેજ દ્વારે રહ્યા છે તે ‘હરિવાક્ય-સુધાસિંધુ’ના તરંગ (૫૧)માં શ્લોક :
सर्वात्मात्मा स्वतंत्रश्च सर्वशक्तिपति: प्रभु: । परात्परतर: शुद्ध: ईश्वराणामपीश्वर: ।।૨૧।।
सर्वत्र कारणत्वेनाडन्वितोडस्ति निजतेजसा । व्यतिरिक्तश्च धाम्नि राजतेडनेकशक्तिभि: ।।૨૨।।
સ્વતંત્ર ને સર્વેના આત્મા, અને સર્વે શક્તિના પતિ, અને પર થકી પણ પર, અને ઈશ્વરના ઈશ્વર, એવા જે શ્રીજીમહારાજ તે સર્વેને વિષે કારણપણે કરીને પોતાના તેજે કરીને અન્વયપણે રહ્યા છે. અને વ્યતિરેકપણે અનેક શક્તિએ યુક્ત પોતાના ધામને વિષે રહ્યા છે. (૨૧,૨૨) તે જેવા અક્ષરમાં છે તેવા ઉત્તરોત્તર એકબીજામાં નથી રહ્યા એમ કહ્યું છે, તેનું કારણ એ છે જે, મૂળઅક્ષરમાં શ્રીજીમહારાજ એક જ પોતાના તેજ દ્વારે અન્વયપણે રહ્યા છે. અને વાસુદેવબ્રહ્મને વિષે શ્રીજીમહારાજ ને મૂળઅક્ષર એ બેય તેજ દ્વારે અન્વયપણે રહ્યા છે. અને મૂળપુરુષમાં વાસુદેવબ્રહ્મે સહિત ત્રણેય તેજ દ્વારે રહ્યા છે. અને જીવમાં પુરુષે સહિત તેજ દ્વારે ચારેય અન્વયપણે રહ્યા છે. માટે અધિક-ન્યૂન રહ્યા છે એમ કહ્યું છે. અને પ્રકૃતિ પણ પુરુષના ભેળી જ રહે છે. માટે પ્રકૃતિ પણ જીવ જીવ પ્રત્યે અંતર્યામીપણે રહી છે. તથા તરંગ (૬૩)માં શ્લોક :
उपासकानां कृष्णस्य तेषआमेकांतिनामपि । एकैक रोम्णि तेजोडस्ति कोटिकोटयर्क सभिलम् ।।૫૧।।
तदावर्णयितुं शक्यं केन कृष्णांगजं मह: । स कृष्णो महसा स्वेनाडस्विनतोडस्ति पुरुषादिषु ।।૫૨।।
કૃષ્ણના (અમારા) ઉપાસક એવા એકાંતિકોના એક એક રોમને વિષે કોટાનકોટિ સૂર્યના સરખું તેજ છે (૫૧) તો કૃષ્ણના (અમારા) અંગનું તેજ તેને વર્ણન કરવા તો કોણ સમર્થ થાય ? એવા સાક્ષાત્ ભગવાન તે પોતાના તેજે કરીને પુરુષાદિકને વિષે અન્વયપણે રહ્યા છે. (પર) એવી રીતે શ્રીજીમહારાજ સર્વમાં અન્વયપણે રહ્યા છે. ।।૧૩।।