વાર્તા ૧૫

કારતક વદ ૭ને રોજ સવારે નારાયણપુરના મંદિરમાં વચનામૃતની કથા વંચાતી હતી, એવામાં ઝીણાભાઈ વૃષપુરથી આવ્યા. તેમને બાપાશ્રીએ પૂછ્યું  જે, મકડ (તીડ) આવ્યાં હતાં તે છે કે ગયાં ? પછી તે કહે જે, ઉગમણા ગયાં જણાય છે. ત્યારે બાપાશ્રી કહે, ડુંગરા ઉપર ગયાં છે ? તો કહે જે, હશે ખરાં. પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, બાપા ! આપ સર્વે જાણો છો, ને એ બિચારાને કેમ પૂછો છો ? બધી આપને ખબર તો છે. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, અમારે બેય જોઈએ. મહારાજ અને મુક્તની લીલા નટની માયા જેવી છે. આ લોકના ભેળા વર્તીએ અને કુટાઈએ, આપણી વાત અમે ને તમે જાણીએ. બીજા શું જાણી શકે ? બીજાને ન જણાવીએ. આ લોકના ભેળું આ લોકનું રાખીએ. અમારે મોલ વાવવો ખપે, હજાર-પંદરસોનું બી વાવી મૂક્યું છે તે મકડ ખાઈ જાય તો છોકરાં શું ખાય ! અમને તો ખાવાનું મહારાજે અને તમે ઘણું આપ્યું છે. આ લોકમાં અમનેય ખપે ને તમનેય ખપે. તમારે લાડુ ને ગાડું જોઈએ. તમને લાડુ જમાડીને કોઈ એમ જાણે કે એ તો ચાલ્યા જશે. ગાડાંનું કાંઈ નહિ, એમ સમજીને ગાડું ન જોડે તો કાંઈ ચાલે ? એ તો બધુંય જોઈએ. દિવ્ય વાત તો અમારી ને તમારી જુદી છે. આ લોકમાં તો બધુંય ખપે. એક વાત ન રાખીએ, બેય વાત જોઈએ. જો એમ ન રાખીએ તો લોકમાં સાનુકૂળ પડે નહિ, માટે એમ રાખીએ છીએ. ।। ૧૫ ।।