પરચા - ૬૧
એક સમયે અમદાવાદ અને મૂળીના સંતો તથા ગુજરાત ઝાલાવાડના ઘણાક હરિભક્તો વૃષપુરના મંદિરમાં રાત્રે નવ વાગે બેઠા હતા. તેમાં એક હરિભક્તને એમ સંકલ્પ થયો જે, બાપાશ્રીની આગળ હજારો માણસ હાથ જોડીને ઊભા રહે છે અને મોટા મોટા સંત પણ સમાગમ કરે છે તેથી મોટા તો હશે ખરા, પણ કંઈક ચમત્કાર જણાવે તો ખાતરી થાય. એટલામાં તો મંદિરમાં અને ફળિયામાં પ્રકાશ પ્રકાશ થઈ ગયો. તે ઘણી વાર સુધી દેખાયો. પછી ઘરેરાટ શબ્દ ઘણી વાર થયો, તે જોઈને સૌ આશ્ચર્ય પામ્યા ને બાપાશ્રીને પૂછવા લાગ્યા જે, આ શું હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, કોઈને ચમત્કાર જોવાની ઇચ્છા થઈ હશે તેને ખાતરી થવા સારુ જણાવ્યું. પછી બીજે દિવસે સંત-હરિભક્તો નારાયણપુર ગયા. ત્યાં ધનજીભાઈએ વાત કરી જે, કાલે રાત્રે અગાસી ઉપર બેઠો હતો તે વખતે વૃષપુર તરફથી તેજોમય વિમાન આવ્યું. તે મારા માથા ઉપર બે હાથ ઊંચું ઊભું રહ્યું. તેમાં શ્રીજીમહારાજ તથા બાપાશ્રી તથા સ્વામી શ્રી અક્ષરજીવનદાસજી તથા સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી તથા મારા પિતા જાદવજીભાઈ બેઠેલા, તે હું જરાવાર દર્શન કરીને લાંબો હાથ કરી સ્પર્શ કરવા ગયો, ત્યાં તો ઉત્તર દિશા તરફ ચાલ્યું ગયું. ।। ૬૧ ।।