SMVS































































































































































































































































































પરચા - ૯૨

એક સમયને વિષે કરાંચીના લાલુભાઈને મારગમાં ચાલતાં સામેથી ગાડી ભટકાવાથી ઘણું લાગ્યું ને રુધિર ઘણું નીકળવાથી શરીરની શુદ્ધિ રહી નહીં. તેથી તેમને મોટી ઇસ્પિતાલમાં લઈ ગયા. જ્યારે શુદ્ધિ આવી, ત્યારે કહે જે મને ઘેર લઈ ચાલો, મારે અહીં રહેવું નથી. ત્યારે તેમનાં સગાંસંબંધીઓએ પ્રાર્થના કરી રાખ્યા. પછી રાત્રિએ શ્રીજીમહારાજ તથા બાપાશ્રી તથા ઘણા સંતોએ સહિત તેજોમય આકાશમાર્ગે અધરથી આવતા હોય એમ તેમને દેખાયા. તે ખાટલા પાસે આવીને ઊભા રહ્યા. તેથી લાલુભાઈને બહુ આનંદ થયો. પછી મહારાજ તથા બાપાશ્રી સંતોએ સહિત અદૃશ્ય થઈ ગયા, ને પોતે બીજે દિવસે ઇસ્પિતાલમાંથી ઘેર આવ્યા. પછી દાક્તર પાસે પાટો બંધાવતાં પણ આરામ થયો નહિ ને તેમને બાપાશ્રી પાસે જવાની તીવ્ર ઇચ્છા થઈ, તેથી ઘણા ઉદાસ થઈ ગયા. તે જ દિવસે રાત્રિએ બે વાગે ઓચિંતા ત્રણ પુરુષનાં દર્શન થયાં. તે બહુ પુષ્ટ ને ઊંચા ને તેજોમય હતા. તે જોઈને લાલુભાઈએ પૂછ્યું જે, આપ કોણ છો ? ત્યારે તેમણે કહ્યું જે, અક્ષરધામમાંથી મહારાજની આજ્ઞાએ તમને તેડવા આવ્યા છીએ. તે સાંભળી લાલભાઈ બહુ રાજી થયા. ત્યાં તો એ ત્રણે મુક્તો લાલુભાઈને ઉપાડી અક્ષરધામમાં લઈ ગયા અને લાલુભાઈને એક મોટી પાટ ઉપર સુવાર્યા અને પાટા બાંધેલા હતા તે છોડી નાખ્યા અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહી લાગેલા ભાગ ઉપર હાથ ફેરવ્યા અને તરત જ પાછા ઉપાડી તેમના ઘરમાં મૂકી ગયા. પછી સવારે દાક્તર પાટો બાંધવા આવ્યો તેણે પાટા છોડી નાખેલા જોઈને પૂછ્યું. ત્યારે લાલુભાઈએ બનેલી વાત વિસ્તારીને કહી. તેથી દાક્તરને તથા સૌને શ્રીજીમહારાજનો તથા બાપાશ્રીનો અલૌકિક પ્રતાપ જણાયો. પછી લાલુભાઈ સાજા થઈ ગયા અને હળવદ જઈને બાપાશ્રીનાં દર્શન કર્યાં. એમને બાપાશ્રીએ કહ્યું જે, તમને અમારાં દર્શને આવવાની ઘણી તાણ હતી, તેથી તમને મહારાજે ને અમે મટાડી દીધું. તે સાંભળી લાલુભાઈ બહુ રાજી થયા. ।। ૯૨ ।।