પરચા - ૩૩
એક વખતે વૃષપુરમાં સ્વામી ઈશ્વરચરણદાસજીના સાધુ પુરુષોત્તમપ્રિયદાસજી ઠાકોરજીનાં દર્શન કરતાં હતાં, તે વખતે સ્વામીએ બાપાશ્રીને કહ્યું જે, આ સાધુ તમારા છે, તેમને દયા કરીને સુખિયા કરજો. ત્યારે બાપાશ્રીએ માથે હાથ મૂકીને કહ્યું જે, મહારાજની મૂર્તિ સામું જોઈ રહો, એટલે તે મૂર્તિ સામું જોઈ રહ્યા. ત્યાં તો તેમને મૂર્તિમાં અનંત મુક્ત સોંસરા દેખાવા લાગ્યા. જેમ બિલોરી કાચમાં અનંત રૂપ દેખાય તેમ અનંત મુક્ત એકબીજામાં નિરાવરણ જોઈ નેત્ર સ્થિર થઈ ગયા. એમ ઘણી વાર સુધી મૂર્તિ સામું જોઈ રહ્યા. પછી બાપાશ્રીએ કહ્યું જે, કેમ ! મૂર્તિનું સુખ કેવું ? ત્યારે તે કહે જે, બાપા ! બહુ દયા કરી, મને કૃતાર્થ કર્યો. એમ બાપાશ્રીએ તેમને મૂર્તિનો અલૌકિકભાવ બતાવી સુખિયા કર્યા. ।। ૩૩ ।।