પરચા - ૪૭

એક સમયે અમદાવાદથી સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતો વૃષપુર ગયા હતા. સાંજના નિત્ય નિયમ પછી બાપાશ્રીના ભત્રીજા ગોવિંદ ભક્તે કહ્યું જે, બાપા ! વાડીએ હાલશું ? ત્યારે બાપાશ્રી કહે જે, આજ તો સંત આવ્યા છે તેથી અમારાથી નહિ અવાય; અને અમારા બળદને ચારો નાખજો. પછી તે ગયા ને બાપાશ્રીના બળદને ચારો નીર્યો ને તેમાંથી પોતાના બળદને પણ નીર્યો. પછી બાપાશ્રીએ લાંબો હાથ કરીને એના માથેથી પાઘડી લઈને પોતાના ઓશીકા તળે ઘાલી. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, બાપા ! ઓશીકું નીચું પડે છે ? ત્યારે કહે જે, ના, આ તો ગોવિંદ ભક્તે અમારો ચારો એના બળદને નીર્યો તેથી એની પાઘડી અમે લઈને ઓશીકા તળે મૂકી. પછી તે સવારે મંદિરમાં ગયા ત્યારે, બાપાશ્રીએ કહ્યું જે, અમારો ચારો તારા બળદને નીર્યો તેથી આ પાઘડી અમે લઈ લીધી. માટે હવે આવું કામ કરીશ નહીં. પછી તેણે પ્રાર્થના કરીને કહ્યું જે, જી બાવા, મારો ગુનો માફ કરો; હવેથી આવું નહિ કરું. ।। ૪૭ ।।