પરચા - ૬૭

વૃષપુરમાં એક ખોજાને મહારોગ થઈ ગયો હતો. તેથી ડૉક્ટર-વૈદો વગેરે છૂટી પડ્યા હતા. એનો બાપ માંચીમાં ઉપડાવી બાપાશ્રી પાસે લાવ્યો ને પ્રાર્થના કરી જે, મારે આ એક જ છોકરો છે તેનો રોગ મટાડો. પછી બાપાશ્રીએ કહ્યું જે, આ વાલોળનું પોણો શેર શાક છે તે બધું જમી જાઓ તો બધા રોગ મટે અને થોડું જમો તો થોડો રોગ મટે. પછી તે બધું જમી ગયો ને સાજો થયો ને ચાલીને ઘેર ગયો. ને તેને બાપાશ્રીને વિષે હેત બહુ થઈ ગયું. પછી જ્યારે બાપાશ્રીએ સંવત ૧૯૭૧ની સાલમાં યજ્ઞ કર્યો હતો ત્યારે તેણે પોતાનાં નવાં મેડીબંધ મકાનો ઉતારા માટે આપ્યાં હતાં. તેમાં ભૂજના મોટા મોટા અમલદારો ઊતર્યા હતા. તેમણે પૂછ્યું જે, કણબી તો બાપાશ્રીની નાતના ગણાય, પણ તમે તો મુસલમાન કહેવાઓ ને આવાં નવાં ઘર યજ્ઞમાં વાપરવા આપ્યાં તેનું શું કારણ ? ત્યારે તે કહે જે, ઘર તો શું પણ મારું સર્વસ્વ અર્પણ કરું તોય ઓછું છે, કેમ જે હું કોઈ ઉપાયે જીવું તેમ ન હતો. પણ બાપાશ્રીએ મને વાલોળનું શાક જમાડીને જીવતો રાખ્યો, તે મહાન ઉપકાર મારાથી કેમ ભુલાય ? તે વાત સાંભળીને ગિરજાશંકરભાઈ આદિ અમલદારોને બાપાશ્રીને વિષે મુક્તપણાનું હેત થઈ ગયું. ।। ૬૭ ।।